ભુજ ખાતે યોજાઇ “ભુજ, જળ સ્વાવલંબનની દિશામાં” વિષય આધારિત લેક્ચર સીરિઝ

ભુજ ખાતે યોજાઇ “ભુજ, જળ સ્વાવલંબનની દિશામાં” વિષય આધારિત લેક્ચર સીરિઝ

જો આપણે પાણીના મુદ્દે સ્વાવલંબી બનવું હશે તો સામુહિક રીતે જળસ્રોતો અને ભૂગર્ભ જળનું સંરક્ષણ અનિવાર્ય છે“, ભુજ ખાતે આયોજિત ભુજ, જળ સ્વાવલંબનની દિશામાંવિષય આધારિત લેક્ચર સીરિઝમાં બોલતાં એકટસંસ્થાના યોગેશભાઇ જાડેજાએ પોતાના વક્તવ્યમાં આવું આહવાન કર્યું હતું.

કોઇપણ ઔપચારિકતાઓ સિવાયના આ કાર્યક્રમનું આયોજન ભુજની લાલન કોલેજ ખાતે સ્પીપા ક્લાસરૂમમાં યોજાયો. ભુજ શહેરના અનેક મુદ્દાઓ છે જેને સમયાંતરે નિષ્ણાતો, નાગરિકો અને તંત્ર વચ્ચે ચર્ચામાં મુકવાના વિચાર સાથે હાલની પરિસ્થિતિમાં પાણીની વિકરાળ બની રહેલી સમસ્યાને પ્રથમ વિષય તરીકે પસંદ કરાયો હતો. “પાણીની વર્તમાન પરિસ્થિતિ અને તેના શક્ય ઉકેલોવિષય પર પાણી વિષયના નિષ્ણાત એકટસંસ્થાના યોગેશભાઇ જાડેજાએ જણાવ્યું હતું કે, આપણે સૌ પાણી સંદર્ભેની સંવેદનશીલતા ગુમાવી બેઠા છીએ તેથી જ વિસ્તારોના વિકાસ સમયે પણ આપણે જળસ્રોતો વિશે વિચાર્યું નથી. જે જળસ્રોતોમાંથી આપણે પાણી મેળવતા હતા આજે એ જ સ્રોતો લુપ્ત થઇ રહ્યા છે. સ્વશિસ્ત સાથે પાણીનો ઉપયોગ કરવો એ અનિવાર્ય બન્યું છે. પોતાની વાત પુરી કરતાં તેમણે જણાવ્યું કે માત્ર ભુજના શૈક્ષણિક સંકૂલો પાણી માટે સ્વનિર્ભર બને તો નગરપાલિકાની ઘણી જવાબદારી ઓછી થાય તેમ છે.

શીવનગર પ્રાથમિક શાળાના આચાર્ય પરેશભાઇ ગુજરાતીએ સંસ્થા, વિદ્યાર્થીઓ, શિક્ષકો અને લોકભાગીદારીથી રુફ રેઇન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિ અપનાવી પાણી બાબતે કેવી રીતે સ્વનિર્ભર બની તેની વાત રજૂ કરી હતી. આજ સુધી શાળાએ પાણીના ટાંકા અને બોરમાં સાત લાખ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કર્યાની માહિતી આપી હતી. તો ભુજના જ્યુબિલી કોલોનીના કમલેશભાઇ શાહે એક સમુદાય ધારે તો સમસ્યાને અવસર કેમ બનાવી શકાય તેની વાત મુકતાં કોલોનીના કિમન પ્લોટમાં ઉભી કરાયેલી વોટર રીચાર્જીંગ પદ્ધતિની સવિસ્તર વાત મુકી હતી તેમજ નગરપાલિકા સમક્ષ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી પદ્ધતિ ઉભી કરી વરસાદી પાણીને જમીનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. એક નાગરિક તરીકે શહેરના જળસ્રોતોના સંરક્ષણ માટે હોમ્સ ઇન ધ સીટિપ્રકલ્પમાં સીટિ ફેલો તરીકે જોડાયેલા દયારામભાઇએ વિવિધ વિસ્તારોમાં કૂવા સફાઇ, નવા હેન્ડ પમ્પ લગાવવા તેમજ સ્ટેન્ડ પોસ્ટ ઉભા કરવા માટેની પોતાની કામગીરી વર્ણવી હતી. આ ત્રણેય વક્તાને ભુજ નગરપાલિકા પ્રમુખ લતાબેન સોલંકી તેમજ કાઉન્સીલર ગોદાવરીબેનના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે આયોજનમાં સહયોગ આપવા સાથે નગરપાલિકા અધ્યક્ષા લતાબહેને પાણી સંદર્ભે થયેલી પ્રક્રિયાઓમાંથી શીખ મેળવી, પાણી બાબતે સંવેદનશીલ બનવા અનુરોધ કર્યો હતો. “સેતુ અભિયાનસંસ્થાના ટ્રસ્ટી અરૂણભાઇ વચ્છરાજાનિ, ડાયરેક્ટર મનીષ આચાર્ય, અસીમભાઇ મિશ્રા, શ્રેષ્ઠા રોય તેમજ ભુજની સંસ્થાઓના પ્રતિનિધિઓ, વોર્ડ સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ બાદ એક્ટના મનીષાબેન જાડેજા અને ગૌરવ પરમારે લાલન કોલેજમાં ઉભી કરાયેલી વોટર રીચાર્જની પદ્ધતિઓનું નિદર્શન કરાવ્યું હતું. સંચાલન ધર્મેશભાઇ અંતાણી અને આભારવિધિ મનીષ આચાર્યએ કરી હતી.


No Comment

Comments are closed here.

Last updated on:

guGujarati